July 6, 2009 at 7:37 am
· Filed under ગઝલ, સુધીર પટેલ
એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ,
જિન્દગી આજ ધન્ય થઈ ગઈ બસ.
બોલ એ કેટલા સહજ બોલ્યા,
વાત સીધી ને ગમ્ય થઈ ગઈ બસ.
શું કહું એ નજરનો જાદુ પણ,
સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ.
રંજ પણ ના રહ્યો જુદાઈનો,
ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.
શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
…..સુધીર પટેલ
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Sudhir Patel
Permalink
July 3, 2009 at 10:49 am
· Filed under ડૉ. કિશોર મોદી, મોનોઈમેજ
ગોખલો (મોનોઇમેજ)
ગોખલો હોય છે
પવિત્રતાનો ઈશ્વરીય
દરબાર !
00
ગોખલો
સંત્રીની આંખે
કેવો નિહાળતો હોય છે
રસ્તા પરની અવર-જવર !
00
ગોખલો
હવાની જેમ
કૈં ગણગણતો હોય છે
એકલો એકલો !
00
કોડિયાની
શગથી સજ્જ ગોખલો
હોય છે
રાતનો સૂરજ !
00
ગોખલો
ઘરની શ્રદ્ધાના
પ્રતીક સમાન !
-ડો. કિશોર મોદી
સંગ્રહ – એઈ વીહલા !
ઈ મેલ – kishoremodi@gmail.com
Permalink
July 2, 2009 at 9:11 am
· Filed under કીર્તિકાન્ત પુરોહિત, ગઝલ
નીંદ પણ હું ખ્વાબ પણ હું એવું શાને ?
સત્ય પણ હું તાગ પણ હું એવું શાને ?
એક ઇચ્છા માંડ મુઠ્ઠીમાં સમાણી,
એ જ પળ વિતરાગ પણ હું એવું શાને ?
ડોન-કિ-હોટે બની ઘૂમું જગતમાં,
ત્રસ્ત હું તલવાર પણ હું એવું શાને ?
ઝેરથી કાળો પડ્યો છું મારી જાતે,
ડંખ પણ હું નાગ પણ હું એવું શાને ?
કેમ આપોઆપ પરખાતો નથી હું,
મારી જાહેરાત પણ હું એવું શાને ?
ચાલ ભીતરના અરીસાને જ પૂછું,
હું જ અંદર, બ્હાર પણ હું એવું શાને ?
કીર્તિના ફૂરચા ઊડે એવી સુરંગો,
પાથરી દેનાર પણ હું એવું શાને ?
…કીર્તિકાન્ત પુરોહિત
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો– Kirtikant Purohit
ડોન-કિ-હોટે = તે જ ટાઇટલ ધરાવતી જગવિખ્યાત નવલકથાનું
અમરપાત્ર છે. સ્પેનીશ લેખક મીગ્યુઅલ દિ સેરવાંટેસ દ્વારા સર્જાયેલી
આ અમરકથામાંના બે પાત્રો ડોન કિ હોટે અને સાંકોપાંઝા પણ
જગસાહિત્યમાં અમર થઇ ગયાં છે. આ નવલકથા દસ વર્ષના અંતરે
બે ભાગમાં પ્રગટ થઇ છે.
Permalink
July 1, 2009 at 8:50 am
· Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
સ્નેહના ઝળહળતા ઝુમરમાં
એક બે નહીં પણ
એક સાથે હજારો દીપ
ઝગમગતા હોય છે ત્યારે
કાઉચમાં એકમેકની હુંફમાં
આપણા હાસ્યના ઊડતા ફુવારે
દીવાનખાનાની દીવાલો પીગળીને
ક્ષિતિજ લગી વિસ્તરી જતી હોય છે.
પણ કોઈ અણસમજણની ક્ષણે
નાની અમથી ચકમકે સરજાયેલા ભૂકંપે
નંદવાયેલા ઝુમરની વેરણછેરણ કણીઓને
ભલે આપણે વેદનાની સાવરણીએ
વારીઝુડીને સમયની ટોકરીમાં નાખી દીધી હોય !
પણ કોઈ સાંજે
એકાએક ખખડેલા
સંબંધના બંધ દ્વારને ખોલવા જતા
સ્મરણના ખૂણેખાંચરે રહી ગયેલ
એકાદ કણ ખૂંચી જાય છે
દ્વાર ખોલવા આતુર થયેલા પગમાં…..
ને બીજી જ ક્ષણે
લોહીલુહાણ પગને
ત્યાં જ થંભાવી દે છે
અક્કડ મન !
હવે તારે નાતો છે
ફક્ત પીડાથી
જેને તું
એક રેશમી વસ્ત્રની જેમ
ગમે ત્યારે
તન પરથી ઉતારીને
ટીંગાવી ન શકે
એકલતાની ઝુરતી ખીંટીએ !
-પ્રીતમ લખલાણી
સંપર્ક- preetam.lakhlani@gmail.com
Permalink
June 30, 2009 at 8:36 am
· Filed under કવિતા/ગીત, ડૉ. નીલેશ રાણા
આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું,
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર,
આજ મને વાગી ગઈ……
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય,
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઈએ નહીં કોઈનો આધાર,
આજ મને વાગી ગઈ…..
-ડૉ. નીલેશ રાણા
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Dr. Nilesh Rana
Permalink
June 29, 2009 at 8:40 am
· Filed under हिन्दी गज़ल, સુધીર પટેલ
आप कहते हो कि जहाँ छूटा,
हमको तो जिस्मका पता छूटा !
अब हमें ये भी ना रहा मालूम,
राहमें कौन फिर कहाँ छूटा ?
अब उसे कैसे, कौन समजाये ?
बूत पकड़ा तो फिर खुदा छूटा !
काम होता है उनकी मर्जीसे,
चाह छूटी, भला-बुरा छूटा !
जो भी आए जी में कहो ”सुधीर”,
मुद्दतोंसे कहा-सूना छूटा !
—सुधीर पटेल
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> સુધીર પટેલ
Permalink
June 28, 2009 at 8:38 am
· Filed under ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.
એક વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.
વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં,
કોર દેખાઈ છે રૂપેરી મને.
જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.
ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.
ક્યાંય ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
June 27, 2009 at 7:49 am
· Filed under કવિતા/ગીત, રમણીક સોમેશ્વર
તારે તો બહુ સારું છે,
પડછાયાનું આખેઆખું પોત બસ હવે તારું છે.
કાંટાળી ઝાડીમાં પણ ના એક ઉઝરડો પડે,
પડછાયાને શું, એ વસ્ત્રો પહેરે કે પરહરે,
વાડ હોય કે વેલો, તારે બધે જ ખોડીબારું છે,
તારે તો બહુ સારું છે….
પવન વહે કે પાણી ના ખળભળવું કે ભીજાવું,
જ્યાં લગ છે આ હોવું ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું,
તારું હોવું તારું ક્યાં છે એ પણ તો પરબારું છે,
તારે તો બહુ સારું છે….
-રમણીક સોમેશ્વર
Permalink
June 26, 2009 at 8:45 am
· Filed under ગઝલ, ડૉ. કિશોર મોદી
અમને કદી અજુગતું કૈં લાગતું નથી,
સમભાવમાં અપૂરતું કૈં લાગતું નથી.
દુનિયામાં વાણીની મીઠપ હોવી જોઇએ,
જિહ્વા ઉપર કસુતરું કૈં લાગતું નથી.
રાધા થવું બધાને બહુ ગમતું હોય છે
ક્યારે ય મોં કટામણું કૈં લાગતું નથી.
વાતાવરણ ભલેને ભારી આજ ખૂબ છે,
પણ મારું મન અણોસરું કૈં લાગતું નથી.
કિશોર સો વરસ પૂરેપૂરા જીવી ગયો,
એનું ક્યહીં અરાખડું કૈં લાગતું નથી.
-ડૉ કિશોર મોદી
કસુતરું= બગડી ગયેલું
કટામણું= નાપસંદગી દર્શાવતું
અણોસરું= ઉદાસ, અરાખડું= છાપ
અપરિચિત લાગતા કાફિયાના અર્થ સમજાય છે ત્યારે
પોતીકા ભાવવિશ્વનો અનુભવ થાય છે.
Permalink
June 25, 2009 at 8:36 am
· Filed under કીર્તિકાન્ત પુરોહિત, ગઝલ
રાતભર ફૂલનું દિલ બળે,
કીર્તિ જેવું ઝાકળ મળે.
માન હો કે અપમાન હો,
બન્નેમાં દશા ખળભળે.
લાગણીને શું દઉં હવા,
સહેજ તિરાડે નીકળે.
તું કહે તે મંજૂર હશે,
જો જરા આ પાંપણ ઢળે.
વાત થઇ શકશે આપણી,
જો અહંની આડશ ટળે.
ટેકરા-ખાડા નકશામાં,
સાવ સીધા છે કાગળે.
જે દુઆ તેં દીઘી નથી,
કોણ જાણે શાને ફળે !
આંખે વરસે વર્ષા પછી,
કોઇ વાદળની અટકળે.
‘કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.
…કીર્તિકાન્ત પુરોહિત
Permalink