ના અર્થમાં કે ફક્ત અક્ષરમાં રહો,
સંવાદના નાજુક સૌ સ્તરમાં રહો !
અંજળ હશે તો આવી ચડશું કોઈ વાર,
એકાદ સાંજે એમ બસ ઘરમાં રહો !
બિન્દાસ ના રહેશો અજાણ્યા શ્હેરમાં,
થોડી ફિકર સાથે જરા ડરમાં રહો !
બસ એ જ મારું ને કલાપીનું મનન,
સુંદર બનો ને એમ સુંદરમાં રહો !
નડતર નહીં તો માર્ગમાં બનશો ‘સુધીર’,
ઉંબર નહીં, કોઈના અંતરમાં રહો !
…..સુધીર પટેલ