રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યા,
વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યા.
કહે છે કે એ તો બધાને જુએ છે,
અમે કેમ એની નજરમાં ન આવ્યા?
મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,
તમે કેમ પ્હેલા પ્રહરમાં ન આવ્યા.
બધાને સુરાનું ચડ્યું ઘેન ઘેરું,
અમે એક એની અસરમાં ન આવ્યા.
વિકટ, અતિવિકટ દોસ્ત આવ્યા વળાંકો
સરળ મોડ મારી ડગરમાં ન આવ્યા.
ઘણા આમ ટૂંકા ય રસ્તા હતા પણ,
મને કામ એક્કે સફરમાં ન આવ્યા.
ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયા
મને જે વિચારો બહરમાં ન આવ્યા
ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ
ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં
પછી ‘રાજ’ ફળશે નહીં તો થશે શું?
મને સ્વપ્ન બસ એ જ ડરમાં ન આવ્યા.
…….રાજ લખતરવી