Archive for November, 2008

નવાબી ચડી

કોને કહેવું કે કેવી નવાબી ચડી ?

લ્હાવ લેવા ગયો ને લવારી ચડી.

 

મુછનો દોરો ફૂટ્યો ઈરાદાને પણ,

કલ્પનાનેય સાથે જવાની ચડી.

 

રોજ આવ્યા કરે એ ગઝલમાં સતત,

કાફિયાને રવાડે ઉદાસી ચડી.

 

આસમાને ચડ્યો કેફ અજવાસ થઈ,

સાત પાતાળે કોને સુરાહી ચડી ?      

 

એના વિષે કહ્યુંતું બધાંએ ઘણું,

સૌની આંખે તો મારી ગવાહી ચડી.

 

માંડ આવ્યાંતાં શમણાંઓ ગીતોને લઈ,

એમાં ડમરી કસબ ને કળાની ચડી.

 

ખુદને ભૂલીને બેઠો છે નોધારો થઈ,

ધૂન અશરફને પાછી ખુદાની ચડી.

                                         …..અશરફ ડબાવાલા

Comments (2)

અલગાવ

બેઘડી ચર્ચામાં રહી ભૂલાઈ પણ જશે,

નામ છે કોઈ દિવસ છેંકાઈ પણ જશે.

 

આપ-લેના સંબંધ તો જાળવજો ત્રાજવે,

આપતાં સામેથી બધું લેવાઈ પણ જશે.

 

ધૂંધવાઈ અલગાવથી ઘરઘરમાં વાત તો

કાન દઈને ભીંત પર કહેવાઈ પણ જશે.

 

ઘરનાં નેવાંની ધાર કે કોઈ રણ-ઝાંઝવું,

જો તરસ જાગે તો ફરક દેખાઈ પણ જશે.

 

જો ભરાવ થાય સુખનો ફેંકો ભીડ પર,

હાથમાં રહેશે અને વ્હેંચાઈ પણ જશે.

 

કીર્તિ તો છે નટખટ ને લીસ્સા પારદ જેવી,

હાથ જેવી કરશો તરત વેરાઈ પણ જશે.

                                              …..કીર્તિકાન્ત પુરોહિત

 

કીર્તિ- નટખટ અને લીસ્સી પારા જેવી, હાથ કરવા જાવ ને વેરાઈ જાય, બે ઘડી ચર્ચામાં

રહે ને નામની માફક છેંકાઈ જાય. આપ-લે તો ત્રાજવે તોલીને થાય નહીં તો ક્યારેક

આપણું બધું લૂંટાઈ જવાનો ભય રહે. ભીંતને પણ કાન હોય છે તેથી ઘરમાં ધૂંધવાતી

વાતો બહાર ચર્ચાનો વિષય બની શકે. પોતાના-પારકા તો ખરા સમયે જ પરખાઈ જશે.

સુખ તો વહેંચીને ભોગવવામાં જ ડહાપણ છે. કવિએ અહીં જીવનવિષયક વાતો કરીને

બહુ લાગણીવશ થયા વિના થોડી કાળજી લેવાનો સંકેત કર્યો છે. બૂકમાર્ક પર નોંધી

રાખવા જેવી ગઝલ.

Comments (4)

વાત કદી ના જાણી

વાત કદી ના જાણી,

ક્યારે દોડે ક્યારે અટકે શ્વાસોની સરવાણી,

                                    વાત કદી ના જાણી.

 

આગળ-પાછળ અડફેટોથી

મન તો ઠેબાં ખાય,

તન બિચારું કેટ-કેટલું

ગંગાજીમાં ન્હાય !

ન્હાય છતાંયે કોરેકોરાં, અવઢવના બંધાણી,

                                     વાત કદી ના જાણી.

 

રંગરંગીલી દુનિયાના છે

કેટકેટલા ઢંગ ? 

એક રાજવી ભોજ મળે ને

બીજો તેલી ગંગ.

સુખ-દુખની આ સંતાકૂકડી કદીય ક્યાં સમજાણી ?  

                                               વાત કદી ના જાણી.

                                                             …..ગિરીશ પરમાર

 

વાંચતા જ ગમી જાય તેવું ગીત !

કાવ્યની ધ્રુવપંક્તિમાં કવિએ સૃષ્ટિનું સનાતન સત્ય અને બે અંતરામાં માનવજીવનના

કઠોળ સત્યો ખૂબીપૂર્વક વણી લીધા છે. વહેતા ઝરણા જેવો આંતરલય, મનભાવન

પ્રાસ-અનુપ્રાસ, પરિચિત સંવેદનોની તાજગીભરી અભિવ્યક્તિ દિલને સ્પર્શી જાય તેવી

છે. ગીત વાંચતા જ આપણી અંદરનો ગાયક સળવળે નહીં તો જ નવાઈ !

Comments (3)

કાવ્યત્રયી

ખરે બપોરે

નદી

દરિયા સંગે

ધીંગામસ્તી કરતી હરખાય !

હાશ !

હવે

મારી કોઈ પણ

નણંદ

અહીં

પાણી ભરવા તો નહીં આવે !!!

0000

 

ટેલિફોન પર

ધૂંઆપૂંઆ થતા

દરિયાને

પર્વતે કહ્યું :

જરા

ધીરજ રાખ !

તને

મળવા આવવા

નદી

ક્યારની

અહીંયાંથી

નીકળી ગઈ છે !

0000

 

ડૂબી જતી

હોડીએ

નદીને

દરિયા વિશે

એવું તે શું કહ્યું હશે !

કે

દરિયો

આજ લગી

માથા પછાડે છે !!!

               ……..પ્રીતમ લખલાણી

Comments (3)

એક અદીઠ મૂલ

મારી એવી તે કેવી થઈ ભૂલ

પાંદડી તો અદ્દલ મેં ગોઠવી છે પાછી

પણ બનતું એથી ના કૈં ફૂલ…

 

કોડિયું જો માટીનું ફૂલ અગર હોય

તો જ્યોતિ છે સૌરભનું ખોળિયું

ફૂલને તું નાક વડે જોશે તો લાગશે એ

સૌરભ ઠાંસેલું પરબીડિયું

સૌરભની જેમ હવે તારામાં હું છું

તો પરબીડિયા જેમ તુંયે ખૂલ…

 

પૃથ્વી જો રડતી હો દરિયાના આંસુ

તો એમાં ક્યાં મારો ઓવારો

તારી હથેળી છે એવું આકાશ

જેમાં આંસુ રોપું તો ઊગે તારો

પૂનમનું ફૂલ હવે તોડીશ તો ખેંચાતું

આવશે અદીઠ એક મૂલ…

                                            …..રવીન્દ્ર પારેખ

Comments (5)

कभी रात में आया

कभी दिन दहाडे, कभी रात में आया,

वो मेरा सनम, बात की बात में आया ।

 

कई बार पहले भी मिल चूके हैं उनसे,

ये अंदाज़ पहली मुलाकात में आया ।

 

उसे भी बडी चाह थी मिलने की लेकिन,

कहाँ आदमी अपनी औकात में आया ।

 

यकीं मानो वो आयेगा वक्ते-रुखसद भी,

यहाँ जिस तरह वो शुरुआत में आया ।   

 

वो जब भी जी चाहा हूआ रुबरु सुधीर,

वो आया, गया, ना मगर हाथ में आया ।

                                                          —–सुधीर पटेल

ઉમાશંકર જોષીએ કહ્યું છે: કવિતા તો આત્માની માતૃભાષા છે.  હૃદયના સ્પંદનો અને સંવેદનો વ્યક્ત કરવાની  કોઈ એક ભાષા ના હોય ! એ તો અભિવ્યક્તિની સહજ ભાષામાં જ વ્યક્ત થાય. સુધીરભાઈની એક એકથી ચઢિયાતી ગઝલો આપણે ગુજરાતી ભાષામાં માણી છે. આજે સુધીરભાઈએ તેમની એક તાજી જ ગઝલ મોકલી છે જે હિન્દી ભાષામાં છે. લાગે છે હિન્દી ભાષા પર પણ તેમનું એટલું જ પ્રભુત્વ છે જેટલું ગુજરાતી ભાષા પર. સહજ રીતે સાંપડેલ શબ્દોમાં તેમની પરિપક્વ કલમે સમ્યક્ અને સચોટ રીતે હૃદયની ભાવનાઓ વ્યક્ત કરી છે. रात में आया, बात में आया વગેરે સાવ સરળ લાગતી રદીફ-કાફિયાની જોડીઓ મત્લાથી મક્તા સુધીના દરેક શેરમાં ગઝલના મિજાજને આબેહૂબ જાળવી રાખે છે. પહેલી જ મુલાકાતમાં એમ લાગે કે આમને તો કેટલીય વાર પહેલા મળ્યા છીએઆવું ત્યારે જ બને જ્યારે વર્ષોથી એમને રોજ સપનામાં જોતા હોઈએ ! જાણે દીર્ઘકાળથી એક તસ્વીર હૃદયમાં સંઘરી રાખી ના હોય ! જ્યારે પણ યાદ કરો એ નજર સામે આવે.

जब जरा गर्दन झुकाली देख ली तस्वीरे यार,

मगर कमनसिबी तो देखिएवो आया, गया, ना मगर हाथ में आया ।                       

Comments (6)

તારો ચહેરો

આ શું થયું છે મને ?

કે વારે વારે તારો ચહેરો આવે મારી કને.

કાંઈ કશું દેખાય નહીં, આ એક જ તારો ચહેરો

લાગણીઓના જળથી એને હૈયું કહે : ઉછેરો

કયા અકળ સગપણે

વારે વારે તારો ચહેરો આવે મારી કને.

મન તો શાણું થઈને કહેતું : નહીં હોય આટલી માયા

આયખાને તો તારા સિવાય લાગે બધા પરાયા

મારા તાર મૂગા રણઝણે

આ શું થયું છે મને ?

                                                    ….સુરેશ દલાલ

Comments (1)

નાનકડી ચાવી

હું તારી છું

તું મારો

આટલી વાત નિશ્ચિત છે

તું વસે છે મારા હૃદયમાં

અને નાનકડી ચાવી ખોવાઈ ગઈ છે

હવે તારે

સદાય માટે

ત્યાં જ રહેવું પડશે.

 

(મૂળ જર્મન કવિતા- ફ્રાઉ આવા)    અનુવાદ…રજની મહેતા

Comments (2)

સખીપણાના અભરખા

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા

હજુય થાતું તાજા તાજા ગુલાબ ઊગે સરખા.

 

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં

મારી આખી જન્મકુંડળી વહેતી

મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી

સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

તમે આંખથી વાદળ છાંટો હું ધારું કે બરખા…

મને તમારા…

 

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને

સૂરજને હું કેમ કરીને ઠારું

કેટકેટલી માછલીઓ તરફડતી જીવે

આંખ વચાળે દરિયાથીયે ખારું

તમે બનો મંદિર, અહમના કાઢું હું ય પગરખા…

મને તમારા….

                                                             …..મુકેશ જોશી

Comments (3)

રાત્રી-પ્રભાત

સાંજ પડી ને

વગડો આખો અંધારે છલકાયો :

એમાં તરવા લાગ્યાં તરુઓ

તરવર તરી રહી ટેકરીઓ,

બળ્યું ઝળ્યું આકાશ ખાબક્યું

તરવા લાગી તારક પરીઓ,

આખીરાત ઊથલ ને પાથલ

ખળભળ ખળભળ બધું રસાતલ !

પછી સવારે

બખોલમાં બેઠા પંખીની ચાંચ ખૂલી

ને

ટહુકા ભેગી નીકળી સૂરજ-કોર !

નારા પર જાણે નારાયણ !

નાભિકમલથી પૃથ્વી નવીનકોર !

                                          …..જયંત પાઠક

 

આપણે રાત્રી-પ્રભાત તો કેટલાય જોયા છે પણ કવિની નજરે રાત્રી-પ્રભાત જોવાનો લ્હાવો અનેરો જ હોય છે. કવિની નજર એક કલાકારની અને હૃદય એક સર્જકનું હોય છે. કવિ દૃશ્ય જુએ છે અને દૃશ્યની પાર પણ જુએ છે. અને રોજબરોજના સામાન્ય લાગતાં દૃશ્યોમાં કવિ આપણને પરમના દર્શન કરાવે છે. સાંજ પડે છે ને કવિ ધીમે ધીમે ફેલાતા અંધકારને અહોભાવથી જોઈ રહે છે. જાણે આખો વગડો અંધારે છલકાઈ રહ્યો ના હોય ! ઘડીકવારમાં તો સઘળું અંધકારના દરિયામાં તરવા ના લાગ્યું હોય એવો અનુભવ થાય છે. તરુઓ, ટેકરીઓ તરવા લાગે છે અને તારક પરીઓ સાથે આખું આકાશ આ અંધકારમાં ખાબકે છે. અહીં કવિહૃદય ખૂબ સંવેદનશીલ બને છે અને કહે છે કે આખી રાત ઊથલ ને પાથલ ખળભળ ખળભળ- બધું રસાતલ ! જાણે કવિ પૃથ્વીના ઉદય સમયની ઊથલપાથલ નજરે નિહાળતા ના હોય !  કવિની કલાકાર નજર સવારને સૌપ્રથમ બખોલમાં બેઠેલા પંખીની ચાંચમાં નિહાળે છે. પંખીની ચાંચ ખૂલે છે ને ટહુકા ભેગી સૂરજ-કોર નીકળી અંધકારને ક્યાંય હડસેલી દે છે. (નારા એટલે પાણી અને અયન એટલે ઘર કરવું તે. આમ નારાયણ એટલે પાણી પર રહેનાર). પૂર્વમાં સૂર્યદેવનું આગમન થતાં જ નારાયણના નાભિકમલમાંથી ઉદય પામતી એક નવીનકોર પૃથ્વીના કવિને દર્શન થાય છે. કવિ શ્રી જયંત પાઠકની પરિપક્વ કલમથી નિતરતી સંવેદનાઓની અભિવ્યક્તિ દાદને કાબિલ છે.

Comments (2)

Older Posts »