આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું,
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર,
આજ મને વાગી ગઈ……
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય,
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઈએ નહીં કોઈનો આધાર,
આજ મને વાગી ગઈ…..
-ડૉ. નીલેશ રાણા
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Dr. Nilesh Rana
વિવેક ટેલર said
મજાનું ગીત…
પંચમ શુક્લ said
આ ગીતની પ્રાસાદિકતા ગમી. ખાસ તો તરત ઈન્દ્રીયવ્યત્યયબોધ-
ધુમ્મસની ધારનું વાગવું.
નિરાકારને આકાર આપવાની વાત
ભુજામાં ભીંજાવું અને ભૂંસાવું….
Harnish Jani said
નિલેશભાઇનું આ ગીત 2005માં અમેરિકામાં મારે ત્યાંની બેઠકમાં શ્રી ધીરુ પરીખની હાજરીમાં-તેમના જ શબ્દોમાં સાંભળવાની મઝા આવી હતી-ત્યારે ખૂબ જામ્યું હતું. અને નિલેશભાઇને પુષ્કળ દાદ મળી હતી.
તમારી પસંદ માટે અભિનંદન.
devikadhruva said
મઝાનું ગીત…