Archive for July, 2009
July 31, 2009 at 8:23 pm
· Filed under કીર્તિકાન્ત પુરોહિત, ગઝલ
અસીમની શક્યતા તરછોડી બેઠો છું,
દિશાઓમાં દીવાલો ખોડી બેઠો છું.
ફૂલોની મ્હેકનો અભિલાષ છોડી દો,
પવનના રૂખ બધા યે મોડી બેઠો છું.
નજર મળતી નથી બસ એક બાળકથી,
વગર વાંકે તમાચો ચોડી બેઠો છું.
પ્રથમ કે અંતના સીમા-પડાવો જ્યાં,
સમયનું કોચલું એ તોડી બેઠો છું.
થયા છે લોક ભેગા છાંયડે મારા,
બધા સુખનાં ફળો ઝંઝોડી બેઠો છું.
હવા પણ મુક્ત થઇ ‘કીર્તિ’નાં બંધનથી,
કે, પરપોટો હતો એ ફોડી બેઠો છું.
…..કીર્તિકાન્ત પુરોહિત
Permalink
July 25, 2009 at 11:08 am
· Filed under ગઝલ, મનસુખવન ગોસ્વામી
જેમને જોતાં કદી પણ ના ધરાયું મન,
એમનું કાં થઇ ગયું પળમાં પરાયું મન ?
આળસુના પીર ઉપડ્યા જ નહિ આ પગ,
કૈંક વેળા ત્યાં જવા નહિતર કરાયું મન !
જંગમાં છો આપણો જેવો થયો હોય જય !
જગમાં આ આપણું એવું મરાયું મન !
આમ સમજાવ્યું ને પછી તેમ સમજાવ્યું,
ક્યાંય માળું જોતર્યે ના જોતરાયું મન !
આંસુઓ તો તો’ય છલકેલાં જરાં મોડાં,
એ પહેલાં ક્યાંય વ્હેલું ઊભરાયું મન !
-મનસુખવન ગોસ્વામી
Permalink
July 24, 2009 at 10:44 am
· Filed under અમિત ત્રિવેદી, ગઝલ
હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે,
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે.
અમે તારે ઈશારે જિંદગીભર તો રહ્યાં દોડી,
થયાં પગભર તો અંતે પગ છળે છે થાકવા માટે.
છલકવું કે મલકવું એ હવે તો લાગતું ખોટું,
છતાં ભીતર બધું દોડે હજુ શું તાગવા માટે ?
વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી પતઝડ,
મળ્યું છે પાંદડું પીળું પગેરું પામવા માટે.
અને સૂરજ ભલેને આથમી જાતો, તો મારે શું ?
અડીખમ છું, ફરી તું આવ છાંયો માપવા માટે.
-અમિત ત્રિવેદી
સંપર્ક- amit.vadodara@gmail.com
Permalink
July 23, 2009 at 10:11 am
· Filed under ગઝલ, તેજસ શાહ
દઈ હાથ તાળી મજાકો કરી છે!
છુપાવી દરદ, મીઠી વાતો કરી છે!
ગઝલની ગલીઓમાં ભટકી રહ્યો છું,
મઝા છે પરંતુ મઝા આકરી છે!
કર્યો પ્રશ્ન છંદે ગઝલના નયનને,
શું નજરો કદી ક્યાંય ખોટી ફરી છે?
કરે મન મને હર જવાબે સવાલો,
સવાલે જવાબો તો અંતાક્ષરી છે
ભલે ન્યાય માંગે જહાંગીર હરીફો,
સમજ તું કે તારી છટા અકબરી છે!
તરસમાં સ્વયંનો જ સાકી બનીને,
છલોછલ છલકતી મેં પ્યાલી ભરી છે!
તખલ્લુસ નથી આજ મક્તા સમીપે;
ભુલી નામ મારું મેં વાતો કરી છે!
-તેજસ શાહ
સંપર્ક : tejasshah9@yahoo.com
Permalink
July 22, 2009 at 3:53 pm
· Filed under ગઝલ, મનીષ પરમાર
શ્વાસના પાના ઉપર ફોરમ લખી છે,
ભીંજવી દેશે તને મોસમ લખી છે.
કાળજે ટાઢક વળે એવું બને પણ,
એક પંક્તિ આમ લીલીછમ લખી છે.
હું જ જ્યાં છૂટો પડ્યો તમને મળીને,
એ વિયોગોમાં ગઝલ કાયમ લખી છે.
ઓગળે તો ઓગળે રેતી સમયની,
ક્ષણ ઉપર ભીનાશને હરદમ લખી છે.
કેટલા કોરા દિવસ વીતે હજીયે,
વાત મારા પ્રેમની મોઘમ લખી છે.
-મનીષ પરમાર
Permalink
July 21, 2009 at 2:42 pm
· Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
હવા દેખી એ તાજું શ્વસતો નથી,
શું માણસ શરીરમાં વસતો નથી ?
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું,
`થયું શું, તું વરસોથી હસતો નથી?’
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
સદી આખી ખંડેર મોહેં-જો ના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
-વિવેક મનહર ટેલર
કુદરત હર પળ નવા શ્વાસ આપે છે, પરંતુ માણસ શરીરમાં વસતો હોય તો તાજા શ્વાસ લે ને !
બસ, એ તો વીતેલી પળોમાં જ વ્યસ્ત હોય છે ! એને નવી પળ ગમતી જ નથી. માણસની તરસ,
એની તડપ, એની લગન ઓછી પડે છે, નહીં તો ઉપરવાળો મન મૂકીને ના વરસે એવું બને ?
અરીસો પણ એના ગમગીન ચહેરાની ચાડી ખાતો હોય છે. કોઈને દિલથી મળવાનો શિરસ્તો હજુ
એણે પાડ્યો નથી. માણસના ઈરાદાઓ ક્યાં કોઈથી અજાણ્યા છે. કોઈ એના દિલમાં પ્રવેશ કરવા
ઈચ્છા કરે તોયે કેવી રીતે પ્રવેશે? એણે એના ઘરને તો જાણે સૈકાઓ જૂનું ખંડેર બનાવી દીધું છે,
એક એકથી ચઢિયાતા શેર આપી કવિએ અંતિમ શેરમાં તો કમાલ જ કરી છે.
રસાત્મક છંદને કારણે ગઝલને પ્રવાહી લય સાંપડ્યો છે.
Permalink
July 20, 2009 at 2:59 pm
· Filed under ડૉ. દિલીપ મોદી, વિશેષ
સ્પર્શ વરસી ના શક્યો વરસાદ થઈને,
ને હથેળીમાં ઝૂરે ધગધગતી રેતી.
***
આ શ્હેર આખું સાવ કોરુંકટ જુઓ,
સહેજે ન પલળ્યું આજ આ વરસાદમાં.
***
વરસું અનરાધાર હું વાદળ સમો,
હોઉં તો પણ શુષ્ક હું અટકળ સમો.
***
જિંદગી છે રાત સૂક્કાં રણ સમી-
કે વરસવા સ્વપ્નને વાદળ તું આપ.
***
છત્રી ઓઢીને તમે ચાલો નહીં,
એક મોકો આપજો વરસાદને…
***
આંગણે અજવાસનાં પગલાં પડ્યાં,
ભીતરે વરસાદના ટીપાં પડ્યાં,
સ્નેહનો સત્કાર કરવાને, સખી
શહેરનાં ફૂલો મને ઓછાં પડ્યાં !
-ડૉ. દિલીપ મોદી
Permalink
July 19, 2009 at 2:15 pm
· Filed under કવિતા/ગીત, પ્રીતમ લખલાણી
હરિ તમે હરીકેન થઈને આવ્યા
ચેન ભરીને ધરતી સૂતી,
તમે બેચેન થઈને આવ્યા.
આવરીબ્હાવરી નદી દોડતી
દરિયો ડામાડોળ,
ઝંઝાવાતે પવન ધૂણતો
ભૂલી ખગોળ-ભૂગોળ,
ક્ષીરસાગરના નાગદેવની
ફેણ થઈને આવ્યા,
હરિ તમે હરીકેન થઈને આવ્યા.
જળની બહાર ફેંકાઈ માછલી
શું કાંઠો શું રેતી,
વીજળી આ વીંઝાય ને પળમાં
બધ્ધું લિયે ઉશેટી,
મૂંગામંતર મોહન કપરાં
વેણ લઈને આવ્યા,
હરિ તમે હરીકેન થઈને આવ્યા.
-પ્રીતમ લખલાણી
Permalink
July 18, 2009 at 9:47 am
· Filed under ગઝલ, બિસ્મિલ મન્સૂરી
શ્વાસની પેલી તરફ ઉચ્છવાસની પેલી તરફ,
દ્રષ્ટિ ખોડાઈ ગઈ વિશ્વાસની પેલી તરફ.
દર્પણોનાં પોપચાં ઊઘડે અને બીડાય ત્યાં,
એક પડછાયો ફરે આભાસની પેલી તરફ.
આ તરફ તો શહેરનાં ખંડેર ખડકાયે જતાં,
કૂચ કરતા સૈનિકો ઇતિહાસની પેલી તરફ.
હાથતાળી દૈ સતત સરકી જતા પળવારમાં,
શબ્દને શોધ્યા કરું હું પ્રાસની પેલી તરફ.
કોઈ સોનેરી કિરણ ફેલાય બિસ્મિલ આરપાર,
હર્ષની પેલી તરફ ઉલ્લાસની પેલી તરફ.
-બિસ્મિલ મન્સૂરી
Permalink
July 17, 2009 at 8:54 am
· Filed under કીર્તિકાન્ત પુરોહિત, ગઝલ
બે કદમ આગળ રહે તે મૃગજળ મનજી,
વીરડામાં જળ ધરે તે આ પળ મનજી.
રેશમી અંધાર ઇચ્છાનાં ગોરંભે,
પ્યાસ પર વરસી પડે તે વાદળ મનજી.
નાકની દાંડી પરે ઉભા ટેકીલા,
કોઈ પદ પર ના ટકે તે ચંચળ મનજી.
ના સમાયાં આંખમાં ના આંજ્યાં સ્વપન,
આંસુ ભેગાં નીતરે તે કાજળ મનજી.
છે ઉબડખાબડ ધરા ને સૂકી વાડી,
ઠોકરોમાં ફળ મળે તે અંજળ મનજી.
પોત એનું પાતળું ના માની લેશો,
ભૂખને ઝીલી શકે તે પાતળ મનજી.
તું કરે ભીનાશના છોને વરતારા,
પણ સમય સાથે ઉડે તે ઝાકળ મનજી.
શોધ બીજું માપ ને નોખાં પરિમાણો ,
કીર્તિને ટુંકા પડે તે ઘનફળ મનજી.
-કીર્તિકાન્ત પુરોહિત
Permalink
Older Posts »