Archive for July 1, 2009

મનઝુરાપો

સ્નેહના ઝળહળતા ઝુમરમાં
એક બે નહીં પણ
એક સાથે હજારો દીપ
ઝગમગતા હોય છે ત્યારે
કાઉચમાં એકમેકની હુંફમાં
આપણા હાસ્યના ઊડતા ફુવારે
દીવાનખાનાની દીવાલો પીગળીને
ક્ષિતિજ લગી વિસ્તરી જતી હોય છે.
પણ કોઈ અણસમજણની ક્ષણે
નાની અમથી ચકમકે સરજાયેલા ભૂકંપે
નંદવાયેલા ઝુમરની વેરણછેરણ કણીઓને
ભલે આપણે વેદનાની સાવરણીએ
વારીઝુડીને સમયની ટોકરીમાં નાખી દીધી હોય !
પણ કોઈ સાંજે
એકાએક ખખડેલા
સંબંધના બંધ દ્વારને ખોલવા જતા
સ્મરણના ખૂણેખાંચરે રહી ગયેલ
એકાદ કણ ખૂંચી જાય છે
દ્વાર ખોલવા આતુર થયેલા પગમાં…..
ને બીજી જ ક્ષણે
લોહીલુહાણ પગને
ત્યાં જ થંભાવી દે છે
અક્કડ મન !
હવે તારે નાતો છે
ફક્ત પીડાથી
જેને તું
એક રેશમી વસ્ત્રની જેમ
ગમે ત્યારે
તન પરથી ઉતારીને
ટીંગાવી ન શકે
એકલતાની ઝુરતી ખીંટીએ !
           -પ્રીતમ લખલાણી

સંપર્ક-   preetam.lakhlani@gmail.com

Comments (4)