હવા દેખી એ તાજું શ્વસતો નથી,
શું માણસ શરીરમાં વસતો નથી ?
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું,
`થયું શું, તું વરસોથી હસતો નથી?’
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
સદી આખી ખંડેર મોહેં-જો ના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
-વિવેક મનહર ટેલર
કુદરત હર પળ નવા શ્વાસ આપે છે, પરંતુ માણસ શરીરમાં વસતો હોય તો તાજા શ્વાસ લે ને !
બસ, એ તો વીતેલી પળોમાં જ વ્યસ્ત હોય છે ! એને નવી પળ ગમતી જ નથી. માણસની તરસ,
એની તડપ, એની લગન ઓછી પડે છે, નહીં તો ઉપરવાળો મન મૂકીને ના વરસે એવું બને ?
અરીસો પણ એના ગમગીન ચહેરાની ચાડી ખાતો હોય છે. કોઈને દિલથી મળવાનો શિરસ્તો હજુ
એણે પાડ્યો નથી. માણસના ઈરાદાઓ ક્યાં કોઈથી અજાણ્યા છે. કોઈ એના દિલમાં પ્રવેશ કરવા
ઈચ્છા કરે તોયે કેવી રીતે પ્રવેશે? એણે એના ઘરને તો જાણે સૈકાઓ જૂનું ખંડેર બનાવી દીધું છે,
એક એકથી ચઢિયાતા શેર આપી કવિએ અંતિમ શેરમાં તો કમાલ જ કરી છે.
રસાત્મક છંદને કારણે ગઝલને પ્રવાહી લય સાંપડ્યો છે.