મલકતાં ક્યાં કશું વપરાઈ જાશે ?
હશે ચહેરે વ્યથા, સંતાઈ જાશે.
ભલેને આપદા આવે જીવનમાં,
ઘણાંની મિત્રતા પરખાઈ જાશે.
છલક્વા દો ખુશીને સાવ સહજે
દુ:ખો બસ એ રીતે ધરબાઈ જાશે.
અગર દોડી શકો તો દોડજો ભૈ,
આ શમણું બસ હવે પકડાઈ જાશે.
અગર આવે તમારે ઘેર ‘આનંદ’
જગતના લોક પણ હરખાઈ જાશે.
– અશોક જાની ‘આનંદ’