આંખમાં આ સ્વપ્ન જેવું કંઈ નથી.
હોઠ પર પણ શબ્દ જેવું કંઈ નથી.
જાતને હું સાંભળું તો શી રીતે ?!
માંહ્યલાને કર્ણ જેવું કંઈ નથી.
માત્ર તારે કોશિષો કરવી રહી,
હું કહું ? પ્રારબ્ધ જેવું કંઈ નથી.
હું તો બસ ચાલ્યા કરું, ચાલ્યા કરું,
આ નજરમાં લક્ષ જેવું કંઈ નથી.
ચોતરફથી ઉત્તરો પડઘાય છે,
પણ હવે લ્યો પ્રશ્ન જેવું કંઈ નથી.
ક્યાં સુધી આ વાત મારી સાંભળો ?!
આ કથાના અંત જેવું કંઈ નથી.
એમણે ‘આનંદ’નો રસ્તો પૂછ્યો,
મેં કહ્યું મન મસ્ત જેવું કંઈ નથી.
–અશોક જાની ‘આનંદ’